આબળબળતી ગરમીમાં સૂરજદાદાના આકરા તાપથી આપણે તપી જઈએ છીએ. ભરબપોરે તો એવું લાગે છે કે સૂર્ય જાણે આગનો ધગધગતો ગોળો ન બની ગયો હોય!
આપણને નવાઈ પણ લાગતી હોય છે કે સૂરજની અંદર આટલી ગરમી કેવી રીતે હશે? મિત્રો, વાસ્તવમાં સૂર્ય આગનો ધગધગતો ગોળો જ છે. તો ચાલો આજે એ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ કે સૂરજદાદા આટલા કેમ તપે છે?
તમે વિજ્ઞાનમાં હિલિયમ તથા હાઇડ્રોજન વાયુ વિશે ભણ્યા હશો. આપણા સૌર મંડળમાં સૂર્ય સૌથી મોટો છે અને તેમાં વધારે પ્રમાણમાં હાઇડ્રોજન તથા થોડા પ્રમાણમાં હિલિયમ ગેસનું પ્રમાણ પણ રહેલું છે. વળી સૂર્ય આપણી પૃથ્વી કરતાં ત્રણ લાખ ગણો ભારે છે. સૂર્યના કેન્દ્રમાં ઘણું દબાણ છે તથા તે મોટો હોવાને કારણે તેમાં વધારે પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. જ્યારે સૂર્યની ઉત્પત્તિ થઈ ત્યારે આ દબાણ ઉષ્મા ઉત્પન્ન થવાનું કારણ બન્યું. આ ઉષ્માથી હાઇડ્રોજન વાયુ બળવાની શરૂઆત થઈ. હાઇડ્રોજન સળગવાને કારણે એક ન્યુક્લિયર રિએક્શન ઊભું થયું. આ પ્રક્રિયા બાદ હિલિયમ ગેસનું નિર્માણ થયું.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા, પ્રકાશ અને વિકિરણરૂપે ઊર્જાનું ઘણું મોટું પ્રમાણ નીકળે છે. આ ઊર્જાથી સૂર્ય ખૂબ ચમકે છે અને તેના કારણે જ આપણે તેની સામે જોઈ શકતા નથી. આ પ્રક્રિયામાં દરેક સેકન્ડે ૬૦૦ ટન હાઇડ્રોજન બળે છે. હાઇડ્રોજન બળે એટલે વળી પાછું ઉષ્મા, પ્રકાશ અને વિકિરણ છૂટા પડવાનું ચક્ર ચાલ્યા જ કરે છે અને સૂર્ય સતત ધગધગતો જ રહે છે.
દર સેકન્ડે ૬૦૦ ટન હાઇડ્રોજન બળતો હોવા છતાં સૂરજમાં હજી એટલો બધો હાઇડ્રોજન છે કે, હજી કરોડો વર્ષો સુધી સૂર્ય આટલો જ ગરમ રહેશે. હાઇડ્રોજનના બળવાથી ઉત્પન્ન થયેલી ઉષ્માને લીધે ગરમી પણ આપતો રહેશે.